સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણે કેમ ઘરડા થઈને મરીએ છીએ?

આપણે કેમ ઘરડા થઈને મરીએ છીએ?

ઈશ્વર ચાહતા ન હતા કે મનુષ્ય ઘરડો થઈને મરી જાય. તેમણે તો આપણાં માબાપ આદમ અને હવાને એ રીતે બનાવ્યાં હતાં કે તેઓ ઘરડા જ ન થાય. મરે પણ નહિ. તેઓ પવિત્ર હતા, પાપ વગરના હતા. તેઓ ચાહત તો આજે પણ હયાત હોત. એ શાના પરથી કહી શકાય? એદન બાગમાં યહોવાએ એક વૃક્ષ વિશે આદમને જે આજ્ઞા આપી હતી, એના પરથી એમ કહી શકાય.

ઈશ્વરે આદમને કહ્યું: ‘જે દિવસે તું ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું ફળ ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે.’ (ઉત્પત્તિ ૨:૧૭) જો ઈશ્વરે આદમને ઘરડો થઈને મરી જવા બનાવ્યો હોત તો, એ આજ્ઞાનો કોઈ મતલબ જ ન રહે. આદમ જાણતો હતો કે ઈશ્વરની આજ્ઞા પાળશે તો કાયમ માટે જીવતો રહેશે, નહિ પાળે તો મરી જશે.

મનુષ્ય મોતને ભેટે એવું ઈશ્વર ચાહતા ન હતા

આદમ અને હવાને ભૂખ લાગે તો, એદન બાગ જાતજાતનાં ફળોથી ભરેલો હતો. એનાથી ભૂખ મટાડી શકતા હતા. ઈશ્વરે તો વાડીના એક જ વૃક્ષનું ફળ ખાવાની મનાઈ કરી હતી. (ઉત્પત્તિ ૨:૯) એ વૃક્ષનું ફળ ન ખાઈને તેઓ સાબિત કરી શકતા હતા કે તેઓ યહોવાનું માનવા તૈયાર છે અને ખરું-ખોટું નક્કી કરવાનો ફક્ત ઈશ્વરને જ હક છે.

આદમ અને હવા કેમ મોતને ભેટ્યા?

એ સમજવા ચાલો જોઈએ કે એવું શું બન્યું હતું, જેની અસર આપણા બધા પર થઈ છે. સ્વર્ગમાં એક દૂત યહોવા ઈશ્વર સામે થયો. એટલે તે શેતાન કહેવાયો. ઈશ્વર વિશે જૂઠાણું ફેલાવવા શેતાને એક સાપનો ઉપયોગ કર્યો. બાઇબલ જણાવે છે: ‘યહોવા ઈશ્વરે બનાવેલાં સર્વ જાનવરોમાં સાપ કપટી હતો. તેણે સ્ત્રીને કહ્યું: “શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના દરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું?”’—ઉત્પત્તિ ૩:૧.

એટલે હવાએ જવાબ આપ્યો: “વાડીનાં વૃક્ષનાં ફળ ખાવાની અમને રજા છે: પણ ઈશ્વરે કહ્યું છે, કે વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહિ, રખેને તમે મરો.” પછી શેતાને હવાને કહ્યું: “તમે નહિ જ મરશો; કેમ કે ઈશ્વર જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઊઘડી જશે, ને તમે ઈશ્વરના જેવાં ભલુંભૂંડું જાણનારાં થશો.” શેતાને દાવો કર્યો કે યહોવા ઈશ્વર જૂઠું બોલે છે; તે આદમ અને હવાને સારી સારી વસ્તુઓ આપવા ચાહતા નથી.—ઉત્પત્તિ ૩:૨-૫.

હવાએ જે સાંભળ્યું એ માની લીધું. તે એ ઝાડને જોવા લાગી. એ ફળ તેને ગમી ગયું! એટલે તેણે એનું ફળ તોડીને ખાધું. બાઇબલ જણાવે છે: ‘અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું, ને તેણે ખાધું.’—ઉત્પત્તિ ૩:૬.

ઈશ્વરે આદમને કહ્યું: ‘જે દિવસે તું એ વૃક્ષનું ફળ ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે.’​—ઉત્પત્તિ ૨:૧૭

જરા કલ્પના કરો, ઈશ્વરે જ્યારે જોયું કે તેમના બન્ને બાળકોએ જાણીજોઈને આજ્ઞા તોડી છે, ત્યારે તેમને કેવું લાગ્યું હશે! યહોવા ઈશ્વરે શું કર્યું? તેમણે આદમને કહ્યું: “તું ભૂમિમાં પાછો જશે . . . કેમ કે તું તેમાંથી લેવાયો હતો; અને તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.” (ઉત્પત્તિ ૩:૧૭-૧૯) એ કારણથી “આદમના સર્વ દહાડા નવસો ત્રીસ વર્ષ હતાં; અને તે મરી ગયો.” (ઉત્પત્તિ ૫:૫) આદમ મર્યા પછી સ્વર્ગ કે એવી કોઈ જગ્યાએ ગયો ન હતો. યહોવાએ તેને ધૂળમાંથી ઉત્પન્ન કર્યો એ પહેલાં તેનું કોઈ અસ્તિત્વ ન હતું. તે મરી ગયો ત્યારે તેનો અંત આવ્યો. તે ધૂળમાંથી આવ્યો અને પાછો ધૂળમાં મળી ગયો. તેનું કંઈ અસ્તિત્વ જ રહ્યું નહિ. કેવો કરૂણ અંત!

આપણે કેમ ઘરડા થઈને મરીએ છીએ?

આદમ અને હવાએ જાણીજોઈને યહોવા ઈશ્વરની આજ્ઞા તોડી. એ ઈશ્વરની નજરમાં પાપ હતું. એટલે તેઓએ કાયમ સુખેથી જીવવાનો આશીર્વાદ ગુમાવ્યો. તેઓ ઘરડા થયા અને ગુજરી ગયા. એટલું જ નહિ, તેઓના સર્વ બાળકોને પણ વારસામાં પાપ અને મરણ આપી ગયા. એના વિશે બાઇબલ જણાવે છે: “એક માણસથી [આદમથી] દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મરણ અને બધા માણસોએ પાપ કર્યું હોવાથી તેઓમાં મરણ ફેલાયું.”—રોમનો ૫:૧૨.

પાપ અને મરણ જાણે “સઘળી પ્રજાઓ પર” છવાઈ ગયું છે. (યશાયા ૨૫:૭) એની અસર ઝેરી હવા જેવી છે. એમાંથી કોઈ બચી શકતું નથી. એટલે બાઇબલ કહે છે, ‘આદમના લીધે બધા મરે છે.’ (૧ કોરીંથીઓ ૧૫:૨૨) એક ઈશ્વરભક્ત પાઊલને પણ સવાલ થયો હતો: “મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે?” શું કોઈ એમાંથી છોડાવી શકે?—રોમનો ૭:૨૪.