સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણા પર દુઃખ, ઘડપણ અને મરણ કેમ આવે છે?

આપણા પર દુઃખ, ઘડપણ અને મરણ કેમ આવે છે?

આપણે ઈશ્વરનાં બાળકો છીએ એટલે તે નથી ચાહતા કે આપણે દુઃખી થઈએ. તો પછી આજે આટલી દુઃખ-તકલીફો કેમ છે?

આપણા પ્રથમ માબાપને લીધે

“એક માણસથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મરણ આવ્યું. આમ બધા માણસોએ પાપ કર્યું, એટલે બધામાં મરણ ફેલાયું.”—રોમનો ૫:૧૨.

ઈશ્વરે પ્રથમ પુરુષ અને સ્ત્રી બનાવ્યા હતા. પુરુષનું નામ આદમ અને સ્ત્રીનું નામ હવા હતું. તેઓને એ રીતે બનાવ્યા હતા કે તેઓ કદી બીમાર ન થાય, ઘરડા ન થાય અને મરે નહિ. ઈશ્વરે તેઓને પૃથ્વી પર ઘર તરીકે સુંદર એદન બાગ આપ્યો હતો. ઈશ્વરે તેઓને બાગના બધા ઝાડના ફળો ખાવાની છૂટ આપી હતી. ફક્ત એક ઝાડનું ફળ ખાવાની ના પાડી હતી. પણ તેઓએ જાણીજોઈને એ ફળ ખાધું અને ઈશ્વરની આજ્ઞા તોડી. એ ઈશ્વરની નજરમાં પાપ હતું. (ઉત્પત્તિ ૨:૧૫-૧૭; ૩:૧-૧૯) એટલે ઈશ્વરે તેઓને એ બાગમાંથી કાઢી મૂક્યા. પછી તેઓ બીમાર થયા, ઘરડા થયા અને મરી ગયા. (ઉત્પત્તિ ૩:૨૩; ૫:૫) આપણે તેઓના બાળકો હોવાથી બીમાર પડીએ છીએ, ઘરડા થઈએ છીએ અને છેવટે મરી જઈએ છીએ.

દુષ્ટ દૂતોને લીધે

“આખી દુનિયા શેતાનના કાબૂમાં છે.”—૧ યોહાન ૫:૧૯.

સ્વર્ગમાં લાખો કરોડો સ્વર્ગદૂત છે. હજારો વર્ષ પહેલાં, તેઓમાંનો એક દૂત ઈશ્વરની સામે થયો અને તેમનો દુશ્મન બની ગયો. એ દુષ્ટ દૂતને શાસ્ત્રમાં “શેતાન” કહેવામાં આવ્યો છે. સમય જતાં, અમુક દૂતો પણ શેતાનની વાતમાં આવી ગયા ને ઈશ્વરની વિરુદ્ધ થઈ ગયા. (યોહાન ૮:૪૪; પ્રકટીકરણ ૧૨:૯) એ દુષ્ટ દૂતો લોકોને ખોટે માર્ગે દોરે છે, જેથી લોકો ઈશ્વરના માર્ગે ચાલવાને બદલે ખોટાં કામ કરે. (ગીતશાસ્ત્ર ૧૦૬:૩૫-૩૮; ૧ તિમોથી ૪:૧) લોકોને દુઃખોમાં પીડાતા જોઈને શેતાન અને તેના દૂતો ખુશ થાય છે.

ખોટા નિર્ણયોને લીધે

“માણસ જે કંઈ વાવે, એ જ તે લણશે.”—ગલાતીઓ ૬:૭.

આદમ અને હવાના પાપને લીધે તથા શેતાન અને તેના દુષ્ટ દૂતોને લીધે આપણે ઘણાં દુઃખો વેઠવા પડે છે. જોકે કોઈ વાર ખોટા નિર્ણયોને લીધે પણ દુઃખ વેઠવું પડે છે. જો ખોટું કામ કરીએ કે ખોટા નિર્ણયો લઈએ, તો એનાં ખરાબ પરિણામ ભોગવવાં પડે છે. પણ સારા નિર્ણયો લેવાથી આપણું જ ભલું થાય છે. જો કોઈ માણસ જુગારી, દારૂડિયો કે આળસુ હોય, તો તેનું કુટુંબ દેવામાં ડૂબેલું રહે છે. તેના કુટુંબની ખુશીઓ છીનવાઈ જાય છે. પણ કોઈ માણસ ઈમાનદાર, મહેનતુ અને પોતાના કુટુંબનું ભરણપોષણ કરતો હોય, તો તેનું કુટુંબ ખુશ રહે છે. ઈશ્વર ચાહે છે કે આપણને “પુષ્કળ શાંતિ” મળે. એટલે ઈશ્વરની સલાહ માનવામાં જ આપણી ભલાઈ છે.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૫.

આપણે “છેલ્લા દિવસોમાં” જીવીએ છીએ

‘છેલ્લા દિવસોમાં લોકો સ્વાર્થી, પૈસાના પ્રેમી, માબાપની આજ્ઞા ન પાળનારા, સંયમ ન રાખનારા, ક્રૂર અને ભલાઈના દુશ્મન હશે.’—૨ તિમોથી ૩:૧-૫.

આજે આખી દુનિયામાં મોટા ભાગે એવા લોકો જોવા મળે છે. એનાથી પુરાવો મળે છે કે આપણે દુષ્ટ દુનિયાના “છેલ્લા દિવસોમાં” જીવીએ છીએ. શાસ્ત્રમાં એ પણ જણાવ્યું છે કે છેલ્લા દિવસોમાં દુનિયાનો માહોલ કેવો હશે. યુદ્ધો થશે, અનાજની અછત થશે, ભૂકંપો થશે અને મહામારી ફેલાશે. (માથ્થી ૨૪:૩, ૭, ૮; લૂક ૨૧:૧૦, ૧૧) એના લીધે આપણા બધા પર દુઃખ-તકલીફો અને મરણ આવે છે.