સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સુખી લગ્‍નની ચાવી!

સુખી લગ્‍નની ચાવી!

બાઇબલ શું કહે છે?

સુખી લગ્‍નની ચાવી!

ઈસુએ કહ્યું: ‘જેમણે મનુષ્યોને ઉત્પન્‍ન કર્યાં તેમણે તેઓને શરૂઆતથી નરનારી ઉત્પન્‍ન કર્યાં. એ કારણથી માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની સ્ત્રીને વળગી રહેશે; અને બંને એક દેહ થશે. એ માટે ઈશ્વરે જેને જોડ્યું છે એને માણસે જુદું પાડવું નહિ.’—માત્થી ૧૯:૪-૬.

આજે દુનિયામાં લગ્‍ન વિષેના ધોરણો બદલાઈ રહ્યાં છે. એટલે ઘણા લોકો એને મહત્ત્વનું અને અતૂટ બંધન ગણતા નથી. ઘણા યુગલો લગ્‍નમાં નાની-મોટી મુશ્કેલીઓ આવે અથવા લગ્‍ન સાથી પ્રત્યે સુંદરતાનો મોહ ઓછો થઈ જાય ત્યારે, અલગ થઈ જાય છે કે છૂટાછેડા લઈ લે છે. એના લીધે તેઓના બાળકોનું જીવન તબાહ થઈ જાય છે.

એ જોઈને યહોવાના ભક્તો નવાઈ પામતા નથી. કેમ કે તેઓ જાણે છે કે આપણે દુષ્ટ દુનિયાના “છેલ્લા સમયમાં” જીવી રહ્યાં છીએ. એટલે આજે કુટુંબને મજબૂત કરે એવો પ્રેમ અને વફાદારી જોવા મળતા નથી. (૨ તીમોથી ૩:૧-૫) આજે સંસ્કારોની પડતી થતી હોવાથી કુટુંબ પર એની અસર થાય છે. એની શું તમને ચિંતા છે? શું તમે લગ્‍નને મહત્ત્વનું ગણો છો?

એમ હોય તો બાઇબલમાં આપેલી સલાહથી તમને જરૂર દિલાસો મળશે. એ સલાહથી દુનિયા ફરતે ઘણા યુગલોને મદદ મળી છે. ચાલો આપણે સુખી લગ્‍નજીવન માટે પાંચ મહત્ત્વના પગલાં જોઈએ. *

સુખી લગ્‍નના પાંચ પગલાં

(૧) લગ્‍નને પવિત્ર બંધન ગણો. ડાબી બાજુએ આપેલા ઈસુના શબ્દો બતાવે છે કે તેમની અને યહોવા ઈશ્વરની નજરે લગ્‍ન પવિત્ર બંધન છે. બાઇબલના જમાનામાં અમુક લોકોએ પોતાની પત્નીને છૂટાછેડા આપીને યુવાન પત્ની કરી હતી. એટલે ઈશ્વરે તેઓને કડક ઠપકો આપ્યો હતો. યહોવાએ કહ્યું: ‘તમારી યુવાવસ્થામાં તમે જે સ્ત્રીને પરણ્યા તેને તમે આપેલા વચનનો ભંગ કર્યો છે. તે તમારી સાથીદાર હતી અને તેના પ્રત્યેનું તમારું વચન તમે તોડ્યું છે; જો કે મારી સમક્ષ તમે તેને વફાદાર રહેવાનું વચન આપ્યું હતું. તમારામાંનો કોઈ પોતાની પત્ની પ્રત્યે એવું ક્રૂર વર્તન કરે તો હું તેને ધિક્કારું છું.’ (માલાખી ૨:૧૪-૧૬, કોમન લેંગ્વેજ) આ બતાવે છે કે ઈશ્વર લગ્‍નને પવિત્ર ગણે છે અને ગેરવર્તન ચલાવી નથી લેતા. તે એ પણ જુએ છે કે પતિ-પત્ની એકબીજા સાથે કેવી રીતે વર્તે છે.

(૨) જવાબદાર પતિ બનો. ઘણી વાર કુટુંબમાં મહત્ત્વના નિર્ણય લેવાના હોય છે. બાઇબલ કહે છે કે નિર્ણય લેવાની જવાબદારી પતિની છે. એફેસી ૫:૨૩ જણાવે છે કે “પતિ પત્નીનું શિર છે.” એનો અર્થ એ નથી કે તે પત્ની પર જુલમ ગુજારે. પતિએ યાદ રાખવું જોઈએ કે તેઓ હવેથી ‘એક દેહ’ જેવા છે. એટલે પત્નીને માન આપવું જોઈએ. કુટુંબમાં કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે પત્નીની સલાહ લેવી જોઈએ. (૧ પીતર ૩:૭) બાઇબલ ઉત્તેજન આપે છે: “પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ.”—એફેસી ૫:૨૮.

(૩) સહકાર આપનારી પત્ની બનો. પત્ની તેના પતિની “સહાયકારી” છે એવું બાઇબલ કહે છે. (ઉત્પત્તિ ૨:૧૮) એટલે સુખી લગ્‍નજીવન માટે તે સારા ગુણો બતાવે છે. તે સહાયકારી હોવાથી પતિ કરતાં ચઢિયાતી હોવાની કોશિશ નહિ કરે. પણ પતિને બધી રીતે સાથ આપશે. એનાથી કુટુંબમાં શાંતિ વધશે. એફેસી ૫:૨૨ કહે છે, ‘પત્નીઓ પોતાના પતિઓને આધીન રહો.’ પણ કોઈ વાતે પત્ની જો પતિ સાથે સહમત ન હોય તો શું? જેમ તે ચાહે છે કે તેનો પતિ તેની સાથે પ્રેમથી અને દિલ ખોલીને વાત કરે એમ તેણે પણ કરવું જોઈએ.

(૪) હકીકત અને મુશ્કેલીઓ સ્વીકારો. પૈસે ટકે મુશ્કેલી આવવાથી, કોઈને મોટી બીમારી થવાથી, બાળકો ઉછેરવામાં મુશ્કેલી અનુભવવાથી કે એકબીજા સાથે વિચાર્યા વગર બોલવાથી લગ્‍નમાં કસોટી થઈ શકે. જોકે બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે લગ્‍ન કરશે તેઓના જીવનમાં ‘દુઃખ-તકલીફો’ આવશે. (૧ કોરીંથી ૭:૨૮) મુશ્કેલીઓ આવે તો લગ્‍ન જીવનમાં તિરાડ ન પડવી જોઈએ. બે વ્યક્તિ એકબીજાને પ્રેમ કરે અને ઈશ્વર જેવા ગુણો બતાવે તો તેઓ શાંતિથી મતભેદ થાળે પાડી શકશે. કદાચ તમારા કુટુંબમાં કોઈ મુશ્કેલી ઊભી થાય તો એને થાળે પાડવા તમારી પાસે પૂરતું જ્ઞાન છે? બાઇબલ કહે છે, “તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વેને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતો નથી, તેની પાસેથી તે માગે.”—યાકૂબ ૧:૫.

(૫) એકબીજાને વફાદાર રહો. જો પતિ કે પત્ની વ્યભિચાર જેવા કામ કરે, તો જ બાઇબલના શિક્ષણ આધારે છૂટાછેડા લઈ શકાય છે. (માત્થી ૧૯:૯) બાઇબલ કહે છે, ‘સૌએ લગ્‍નને માનયોગ્ય ગણવું. પતિ અને પત્નીએ એકબીજાને વફાદાર રહેવું. કારણ, વ્યભિચારીઓનો ઈશ્વર ન્યાય કરશે.’ (હિબ્રૂ ૧૩:૪, કોમન લેંગ્વેજ) પતિ કે પત્ની પારકી વ્યક્તિ સાથે જાતીય સંબંધ ન બાંધે માટે શું કરવું જોઈએ? બાઇબલ જણાવે છે, “પતિએ પોતાની પત્ની પ્રત્યે પોતાની ફરજ બજાવવી; અને તેમ જ પત્નીએ પોતાના પતિ પ્રત્યે પોતાની ફરજ બજાવવી.”—૧ કોરીંથી ૭:૩, ૪.

અમુક લોકોને આ પાંચ પગલાં જૂનવાણી લાગી શકે. પણ હકીકત બતાવે છે કે એવું વિચારવું ખરું નથી. જો વ્યક્તિ જીવનની દરેક બાબતમાં ઈશ્વરનું માર્ગદર્શન લે તો સારા પરિણામો આવશે: “તે નદીની પાસે રોપાએલા ઝાડના જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેનાં પાંદડાં કદી પણ ચીમળાતાં નથી; વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે.” (ગીતશાસ્ત્ર ૧:૨, ૩) અહીં ‘જે કંઈ કરવામાં’ લગ્‍નનો પણ સમાવેશ થાય છે. (g11-E 11)

[ફુટનોટ]

^ વધારે માહિતી માટે માર્ચ ૧, ૨૦૧૧નું ચોકીબુરજ જુઓ. એ પણ અમારું મૅગેઝિન છે.

શું તમે કદી વિચાર્યું છે?

● છૂટાછેડા વિષે યહોવાને કેવું લાગે છે?—માલાખી ૨:૧૪-૧૬.

● પત્ની સાથે પતિએ કેવી રીતે વર્તવું જોઈએ?—એફેસી ૫:૨૩, ૨૮.

● કોના માર્ગદર્શનથી લગ્‍ન સફળ થાય છે?—ગીતશાસ્ત્ર ૧:૨, ૩.