નીતિવચનો ૧૭:૧-૨૮
૧૭ ઝઘડાના ઘરમાં મિજબાની માણવા* કરતાં,+શાંતિના ઘરમાં સૂકો રોટલો ખાવો વધારે સારું.+
૨ સમજુ ચાકર માલિકના બેશરમ દીકરા પર રાજ કરશે,તે તેના વારસામાંથી ભાઈની જેમ હિસ્સો મેળવશે.
૩ ચાંદી ગાળવા કુલડી* અને સોનું ગાળવા ભઠ્ઠી હોય છે,+પણ હૃદયને પારખનાર તો યહોવા છે.+
૪ દુષ્ટ માણસ દુઃખ પહોંચાડતી વાતો પર ધ્યાન આપે છેઅને કપટી માણસને નિંદા સાંભળવી ગમે છે.+
૫ ગરીબની મજાક ઉડાવનાર તેના સર્જનહારનું અપમાન કરે છે+અને બીજાની બરબાદી પર ખુશ થનારને સજા થયા વગર રહેશે નહિ.+
૬ વૃદ્ધોનો મુગટ તેઓનાં પૌત્ર-પૌત્રીઓ છેઅને બાળકોનું* ગૌરવ તેઓના પિતા* છે.
૭ જો મૂર્ખના મોંએ સારી* વાતો શોભતી ન હોય,+તો શાસકના મોંએ જૂઠી વાત કઈ રીતે શોભે?+
૮ માલિકની નજરમાં ભેટ કીમતી પથ્થર* જેવી છે,+તે જે કંઈ કરે છે, એ સફળ થાય છે.+
૯ જે અપરાધ માફ કરે છે,* તે પ્રેમ બતાવે છે,+પણ જે પોતાની જ વાત પર અડી જાય છે, તે ગાઢ મિત્રોને જુદા પાડે છે.+
૧૦ મૂર્ખ માણસ સો ફટકા ખાય તોય સુધરતો નથી,+પણ સમજુને એક ટકોર પણ બસ છે.+
૧૧ ખરાબ માણસ વિરોધ કરવાનું બહાનું શોધે છે,પણ ક્રૂર સંદેશવાહક આવશે અને તેને સજા કરશે.+
૧૨ મૂર્ખની મૂર્ખાઈનો સામનો કરવા કરતાં,+બચ્ચાં છીનવાઈ ગયેલી રીંછડીનો સામનો કરવો વધારે સારું.
૧૩ જે ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળે છે,તેના ઘરમાંથી બૂરાઈ હટશે નહિ.+
૧૪ ઝઘડાની શરૂઆત તો બંધમાંથી પાણી છોડવા જેવું છે,*તકરાર વધી જાય એ પહેલાં ત્યાંથી નીકળી જા.+
૧૫ દુષ્ટને નિર્દોષ ઠરાવનાર અને નેકને દોષિત ઠરાવનાર,+એ બંનેને યહોવા ધિક્કારે છે.
૧૬ ભલે મૂર્ખ પાસે બુદ્ધિ મેળવવાનો કોઈ રસ્તો હોય,પણ તેને એમ કરવાનું મન* જ ન હોય તો શો ફાયદો?+
૧૭ સાચો મિત્ર દરેક સમયે પ્રેમ બતાવે છે+
અને મુસીબતના સમયે તે ભાઈ બની જાય છે.+
૧૮ અક્કલ વગરનો માણસ હાથ મિલાવીને કરાર કરે છેઅને પડોશીની હાજરીમાં જામીન બને* છે.+
૧૯ જેને ઝઘડા ગમે છે, તેને અપરાધ ગમે છે.+
જે પોતાનો દરવાજો મોટો બનાવે છે, તે વિનાશ નોતરે છે.+
૨૦ જેના દિલમાં કપટ છે, તેનું ભલું થતું નથી*+અને જે છેતરામણી વાતો કરે છે, તેની બરબાદી થાય છે.
૨૧ મૂર્ખ દીકરાને જન્મ આપનાર પિતા દુઃખી દુઃખી થઈ જશેઅને અણસમજુ બાળકના પિતાને ખુશી મળશે નહિ.+
૨૨ આનંદી હૃદય ઉત્તમ દવા છે,*+પણ ઉદાસ મન વ્યક્તિને કમજોર બનાવી દે છે.*+
૨૩ ન્યાય ઊંધો વાળવા+દુષ્ટ માણસ ખાનગીમાં* લાંચ લે છે.
૨૪ સમજુ માણસની નજર બુદ્ધિ પર જ લાગેલી હોય છે,પણ મૂર્ખની આંખો પૃથ્વીના ખૂણે ખૂણે ભટકે છે.+
૨૫ મૂર્ખ દીકરો પિતાને દુઃખ પહોંચાડે છેઅને માતાનું દિલ દુભાવે છે.*+
૨૬ નેક માણસને સજા કરવી* યોગ્ય નથીઅને આગેવાનને કોરડા મારવા નિયમ વિરુદ્ધ છે.
૨૭ જ્ઞાની માણસ જીભ પર દાબ રાખે છે+અને સમજુ માણસ ચૂપ રહે છે.+
૨૮ મૂર્ખ પણ ચૂપ રહે તો, તે બુદ્ધિમાન ગણાશેઅને જે પોતાનું મોં સીવી લે, તે સમજુ ગણાશે.
ફૂટનોટ
^ મૂળ, “બલિદાનો ખાવા.”
^ ચાંદી ઓગાળવા અને શુદ્ધ કરવા વપરાતું માટીનું હાંડલું.
^ અથવા, “દીકરાઓનું.”
^ અથવા, “માતા-પિતા.”
^ અથવા, “નેક.”
^ અથવા, “બરકત લાવતા પથ્થર.”
^ મૂળ, “ઢાંકે છે.”
^ અથવા, “નદી પરના બંધના દરવાજા ખોલવા જેવું છે.”
^ અથવા, “દિલ; અક્કલ.”
^ અથવા, “બાંહેધરી આપે.”
^ અથવા, “તે સફળ થતો નથી.”
^ અથવા, “ઘા રૂઝવે છે.”
^ અથવા, “હાડકાં સૂકવી નાખે છે; તાકાત ચૂસી લે છે.”
^ મૂળ, “ખોળામાંથી.”
^ મૂળ, “કડવાશથી ભરી દે છે.”
^ અથવા, “દંડ કરવો.”