નીતિવચનો ૨૮:૧-૨૮
૨૮ કોઈ પીછો કરતું ન હોય તોપણ દુષ્ટ લોકો ભાગે છે,પણ નેક લોકો સિંહ જેવા હિંમતવાન હોય છે.+
૨ ગુનાથી* ભરેલા દેશમાં અધિકારીઓ બદલાતા રહે છે,+પણ સમજુ અને જ્ઞાની સલાહકારની મદદથી અધિકારી* લાંબો સમય ટકે છે.+
૩ લાચારને છેતરનાર ગરીબ માણસ+ફસલને તાણી જનાર વરસાદ જેવો છે.
૪ નિયમ તોડનાર લોકો દુષ્ટની પ્રશંસા કરે છે ત્યારે,તેઓ પર નિયમ પાળનારા ગુસ્સે ભરાય છે.+
૫ દુષ્ટ લોકો ન્યાય સમજતા નથી,પણ યહોવાનું માર્ગદર્શન શોધનાર લોકો બધું સમજી શકે છે.+
૬ અવળે માર્ગે ચાલનાર ધનવાન કરતાં+પ્રમાણિકતાથી* ચાલનાર ગરીબ વધારે સારો.
૭ સમજુ દીકરો નિયમ પાળે છે,પણ ખાઉધરાનો મિત્ર પિતાનું અપમાન કરે છે.+
૮ બેઈમાનીથી અને ઊંચું વ્યાજ લઈને ધનવાન થયેલો માણસ,+ગરીબને કૃપા બતાવનાર માણસ માટે પોતાનું ધન ભેગું કરે છે.+
૯ જે નિયમ પાળવાનો નકાર કરે છે,તેની પ્રાર્થના પણ ધિક્કારને લાયક છે.+
૧૦ નેકને ખોટા માર્ગે દોરી જનાર પોતે ખોદેલા ખાડામાં પડે છે,+પણ નિર્દોષને* વારસામાં સારી વસ્તુઓ મળે છે.+
૧૧ અમીર પોતાને બહુ બુદ્ધિમાન સમજે છે,+પણ તે ખરેખર કેવો છે એ સમજુ ગરીબ પારખી લે છે.+
૧૨ નેક માણસ જીતે ત્યારે લોકો આનંદ-ઉલ્લાસ કરે છે,*પણ દુષ્ટ માણસ સત્તામાં આવે ત્યારે લોકો સંતાઈ જાય છે.+
૧૩ જે પોતાના અપરાધ છુપાવે છે, તે સફળ નહિ થાય,+પણ જે એને કબૂલ કરે છે અને છોડી દે છે, તેને દયા બતાવવામાં આવશે.+
૧૪ સુખી છે એ માણસ, જે હંમેશાં સાવધ રહે છે,*પણ હૃદય કઠોર કરનાર પર આફત આવી પડશે.+
૧૫ લાચાર લોકો પર રાજ કરતો દુષ્ટ શાસક,+ગર્જના કરનાર સિંહ અને હુમલો કરનાર રીંછ જેવો છે.
૧૬ અણસમજુ આગેવાન પોતાની તાકાતનો દુરુપયોગ કરે છે,+પણ બેઈમાન કમાણીને ધિક્કારનાર પોતાનું આયુષ્ય વધારે છે.+
૧૭ ખૂની માણસ* કબરમાં* જતા સુધી નાસતો ફરે છે,+તેને કોઈએ મદદ કરવી નહિ.
૧૮ સીધા માર્ગે ચાલનારને* બચાવવામાં આવશે,+પણ અવળે માર્ગે ચાલનાર અચાનક પડી જશે.+
૧૯ ખેતર ખેડનારને પુષ્કળ ખોરાક મળશે,પણ નકામી વસ્તુઓ પાછળ ભાગનાર પર ગરીબી આવી પડશે.+
૨૦ વિશ્વાસુ માણસને ઘણા આશીર્વાદો મળશે,+પણ જે રાતોરાત અમીર બનવા માંગે છે, તે નિર્દોષ રહેશે નહિ.+
૨૧ ભેદભાવ કરીને કોઈનો પક્ષ લેવો યોગ્ય નથી,+પણ રોટલીના એક ટુકડા માટે માણસ ખોટું કામ કરે છે.
૨૨ ઈર્ષાળુ* માણસ સંપત્તિ પાછળ ભાગે છે,પણ પોતાના પર ગરીબી આવી પડશે એ તે જાણતો નથી.
૨૩ ખુશામત કરનાર માણસ કરતાંઠપકો આપનાર+ છેવટે વધારે વહાલો લાગશે.+
૨૪ જે પોતાનાં માબાપને લૂંટીને કહે છે, “એમાં કંઈ ખોટું નથી!”+
તે બરબાદી લાવનારનો સાથીદાર છે.+
૨૫ લાલચુ* માણસ ઝઘડા ઊભા કરે છે,પણ યહોવા પર ભરોસો રાખનાર આબાદ* થશે.+
૨૬ પોતાના હૃદય પર ભરોસો રાખનાર માણસ મૂર્ખ છે,+પણ બુદ્ધિના માર્ગે ચાલનાર બચી જશે.+
૨૭ જે માણસ ગરીબને કંઈક આપે છે, તેને કશાની ખોટ પડશે નહિ,+પણ જે તેનાથી મોં ફેરવી લે છે, તેને લોકો શ્રાપ આપશે.
૨૮ દુષ્ટ માણસ સત્તામાં આવે ત્યારે લોકો સંતાઈ જાય છે,પણ તેનો અંત આવે ત્યારે નેક લોકો આબાદ થાય છે.+
ફૂટનોટ
^ અથવા, “બંડથી.”
^ મૂળ, “તે.”
^ અથવા, “પ્રમાણિકને.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.
^ અથવા, “ત્યારે મહિમા થાય છે.”
^ અથવા, “જે હંમેશાં ઈશ્વરનો ડર રાખે છે.”
^ અથવા, “જેના માથે લોહીનો દોષ છે, તે માણસ.”
^ અથવા, “ખાડામાં.”
^ અથવા, “પ્રમાણિકને.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.
^ અથવા, “લાલચુ.”
^ અથવા કદાચ, “ઘમંડી.”
^ મૂળ, “તગડો.”